કોવિડ-19ને કારણે સર્જાયેલી સમસ્યાઓના ઉકેલ માટે અને આયુષ આધારિત સંપર્કો માટે કેન્દ્રના આયુષ મંત્રાલય દ્વારા સમાજને મદદરૂપ એવી વિશેષ હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે. આ માટેનો વિનામૂલ્ય નંબર 14443 છે. આ હેલ્પલાઇન સપ્તાહના સાતેય દિવસ સવારે 6.00થી રાત્રે 12.00 કલાક સુધી કાર્યરત રહેશે.
14443 હેલ્પલાઇન નંબર દ્વારા આયુષના તમામ અલગ અલગ પ્રવાહોના નિષ્ણાતો સામાન્ય નાગરિકોના પ્રશ્નોના ઉકેલ માટે ઉપલબ્ધ રહેશે. આ પાસાઓમાં આયુર્વેદ, હોમિયોપેથી, યોગ, નૈસર્ગિક ઉપચાર (નેચરોપેથી), યુનાની અને સિદ્ધાનો સમાવેશ થાય છે. આ નિષ્ણાતો દર્દીઓને માત્ર ઉપાય કે અનુકૂળ ઇલાજ જ સૂચવશે નહીં પરંતુ સાથે સાથે તેમની નજીકમાં ઉપલબ્ધ આયુષ કેન્દ્રોની માહિતી પણ પૂરી પાડશે.
આ ઉપરાંત નિષ્ણાતો દર્દીઓને કોવિડ-19 પછીની રાહતો માટેના સૂચનો તથા મેનેજમેન્ટ સંપર્ક અંગે પણ માહિતી આપશે. આ હેલ્પલાઇન આઇવીઆર ( ઇન્ટરએક્ટિવ વોઇસ રિસ્પોન્સ)થી સજ્જ છે અને હાલમાં તે હિન્દી તથા અંગ્રેજી ભાષામાં ઉપલબ્ધ છે. નજીકના ભવિષ્યમાં અન્ય ભાષાઓનો પણ તેમાં સમાવેશ કરાશે. પ્રારંભમાં આ હેલ્પલાઇન એક સાથે 100 કોલ લઈ શકશે અને ભવિષ્યમાં જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આ સંખ્યામાં વધારો કરાશે. આ હેલ્પલાઇન મારફતે આયુષ મંત્રાલય દેશમાં સમૂદાયમાં કોવિડ-19ના ફેલાવાને અંકુશમાં લેવામાં યોગદાન આપશે. આ હેલ્પલાઈનને સ્ટેપવન એનજીઓ પ્રોજેક્ટની મદદથી કાર્યરત કરાઈ છે.
નોંધનીય છે કે આયુષ સિસ્ટમ આરોગ્ય અને કલ્યાણ માટે ઉપયોગમાં લેવાતી દેશની સૌથી પુરાણી મેડિકલ સિસ્ટમ છે અને સમગ્ર દેશમાં તેને આવકાર મળેલો છે. કોરોના સામે ઘરમાં જ રક્ષણ મળે તે હેતુથી કોરોનાની મહામારીના વર્તમાન સંજોગોમાં આ સિસ્ટમના ઉપયોગમાં વધારો જોવા મળ્યો છે.
આ સિસ્ટમ કોવિડ-19ના મેનેજમેન્ટમાં ઉપયોગી, અસરકારક, સુરક્ષિત, મેળવવામાં આસાન અને વાજબી છે. આ ઉપરાંત તેની રોગનિવારક શક્યતાને પણ ચકાસવામાં આવી છે. ખાસ કરીને પોલીહાઇબ્રલ ફોર્મ્યુલેશન જેવા કે આયુષ-64 (સીસીઆરએએસ દ્વારા સંશોધિત) અને સિદ્ધા સિસ્ટમની કાબાસુરા કુદિનીર કોવિડ-19ના હળવા લક્ષણોમાં એકદમ અકસીર માનવામાં આવે છે. સામાન્ય નાગરિકોના લાભાર્થે આયુષ મંત્રાલય આ બંને દવાઓને વ્યાપકપણે પ્રમોટ કરી રહ્યું છે.