ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ "કોરોના સેવા યજ્ઞ" અંતર્ગત રાજભવન ખાતેથી ફ્રન્ટ લાઇન કોરોના વોરિયર્સ માટેની 10 હજાર કીટની બીજા તબક્કાની સહાયને ઝંડી ફરકાવી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ સમાજ શ્રેષ્ઠીઓના સહયોગને કોરોના સંક્રમણ સામેના સરકારના જંગમાં મહત્વરૂપ ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર સાથે સમાજ શક્તિને જોડીને કોરોના સંક્રમણ સામે ગુજરાતે જંગ છેડ્યો છે ત્યારે પ્રત્યેક નાગરિક "કોરોના સેવા યજ્ઞ"માં જોડાઈને સહયોગ આપે.
રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, કોરોના સંક્રમણ સામે બે મોરચે લડવાનું છે એક તો લાપરવાહી છોડીને કોરોના યોગ્ય વ્યવહાર અપનાવી નિયમોનું ચુસ્ત પાલન કરવું અને બીજું રસીકરણથી માંડીને જરૂરિયાતમંદ લોકોની સેવા-સુશ્રુષાના સામૂહિક પ્રયાસો કરવા પડશે. તેમણે જણાવ્યું હતું કે સંક્રમણના કપરા કાળમાં અન્ય લોકોની પીડાને પોતાની પીડા સમજે એ જ સાચો માનવી છે, સંપત્તિનો સમાજકાર્ય માટે ઉપયોગ કરનારા જ મહાન કહેવાય છે. રાજ્યપાલશ્રીએ યુવા અનસ્ટોપેબલના સહયોગથી એક લાખ ફ્રન્ટ લાઇન કોરોના વોરિયર્સને રાશન અને જીવન ઉપયોગી વસ્તુઓની કીટ પહોંચાડવાના રાજભવન દ્વારા શરૂ કરાયેલા "કોરોના સેવા યજ્ઞ"ની માહિતી આપી યુવા અનસ્ટોપેબલના સંસ્થાપક શ્રી અમિતાભ શાહ તેમજ સહયોગી દાતાશ્રેષ્ઠીઓનું સન્માન કરી તેમના સમાજ કાર્યને બિરદાવ્યા હતા.
રાજ્યના મુખ્યમંત્રીએ કોરોના સંક્રમણ સામે ગુજરાતે અપનાવેલા બહુકોણીય જંગ વિશે માહિતી આપી જણાવ્યું હતું કે, નિરાશા નહીં, ડર નહીં પરંતુ સચેત બનીને જનશક્તિના સામર્થ્યથી કોરોના સંક્રમણ સામે ગુજરાત સરકારે વિજયનો નિર્ધાર કર્યો છે. "હારશે કોરોના, જીતશે ગુજરાત"ના વિજયનાદ સાથે હોસ્પિટલમાં બેડની, દવાની, ઇન્જેકશનની, ઑક્સીજનની કે માનવબળથી માંડીને કોઈપણ સંસાધનોની અછત નહીં પરંતુ સંસાધનોના અસરકારક ઉપયોગ અને વ્યથા નહીં, વ્યવસ્થાના મંત્ર સાથે રાજ્ય સરકારે કોરોના સામે જંગ
છેડ્યો છે.
તેમણે એમ પણ જણાવ્યું હતું કે, સામાજિક સંવેદના સાથે સંક્રમણને ખાળવા અને કોરોના સંક્રમણની સાંકળને તોડવા કેટલાંક નિયંત્રિત પગલાં સરકારે લીધાં છે. જનશક્તિના સહયોગથી આ મહામારીનો સામનો કરવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે તેમ પણ મુખ્યમંત્રીશ્રીએ જણાવી રાજ્યપાલશ્રી દ્વારા થઈ રહેલા "કોરોના સેવા યજ્ઞ" કાર્યને સંવેદનશીલતાના પર્યાય સમાન ગણાવ્યું હતું. તેમણે તમામ દાતાશ્રેષ્ઠીઓનો અને યુવા અનસ્ટોપેબલ સંસ્થા અને તેના સ્થાપક શ્રી અમિતાભ શાહનો કોરોના સેવાયજ્ઞમાં સહયોગ બદલ આભાર માન્યો હતો.
કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયરના કડક પાલન સામે યોજાયેલાં આ કાર્યક્રમમાં તમામ લોકો કોરોના સંક્રમણ સંદર્ભના ટેસ્ટ કરાવ્યા બાદ જ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યપાલશ્રીએ 10 હજાર કીટ લઈને પ્રસ્થાન કરી રહેલાં વાહનોના ચાલકોને પણ શુભેચ્છા પાઠવી હતી. બીજા ચરણમાં સુરત, વડોદરા, અમદાવાદ, ગાંધીનગર ઉપરાંત ઇડર, હિંમતનગર, ખેડબ્રહ્મા, વડનગર વિસ્તારોના કોરોના વોરિયર્સને માટે કીટનો જથ્થો મોકલાયો હતો.